શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જસપ્રીત બુમરાહ લાંબા સમય બાદ ભારતીય ટીમમાં પરત ફર્યો છે. બુમરાહ ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો હતો. ટી20 વર્લ્ડકપમાં પણ તે ટીમ ઈન્ડિયાનો ભાગ નહોતો. ઓસ્ટ્રેલિયા સામેની નિર્ણાયક ટેસ્ટ શ્રેણી પહેલા બુમરાહ ભારતીય ટીમમાં સામેલ થવો ભારત માટે સારા સમાચાર છે.
પીઠની ઈજાને કારણે બુમરાહ સપ્ટેમ્બર 2022થી ટીમ ઈન્ડિયાની બહાર હતો. ઈજામાંથી સાજા થયા બાદ તે લાંબા સમય સુધી ક્રિકેટથી દૂર રહ્યો હતો. જસપ્રીત બુમરાહને નેશનલ ક્રિકેટ એકેડમીમાં તાલીમ લીધા બાદ સંપૂર્ણ ફિટ જાહેર કરવામાં આવ્યો છે. તે ટૂંક સમયમાં ભારતીય ટીમ સાથે જોડાશે.
29 વર્ષીય જસપ્રીત બુમરાહે 25 સપ્ટેમ્બરે ભારત માટે છેલ્લી મેચ રમી હતી. ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં તે ભારતીય ટીમનો ભાગ હતો. તેણે તેની છેલ્લી વનડે 14 જુલાઈના રોજ ઈંગ્લેન્ડ સામે રમી હતી. બુમરાહના આગમનથી ભારતીય ફાસ્ટ બોલિંગ વધુ મજબૂત બની છે. T20 વર્લ્ડકપ 2022 દરમિયાન ભારત બુમરાહને ચૂકી ગયું અને ભારતીય બોલરો સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે એકપણ વિકેટ લઇ શક્યા ન હતા.
વનડે સીરીઝ પહેલા ભારતીય ટીમ શ્રીલંકા સામે ત્રણ મેચની ટી20 સીરીઝ પણ રમશે. આ શ્રેણીમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરશે. જોકે, બુમરાહ ટી-20 સિરીઝમાં નહીં રમે.
શ્રીલંકા સામેની વનડે શ્રેણી માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), ઈશાન કિશન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (વાઈસ-કેપ્ટન), વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અક્ષર પટેલ. જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ.
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામેની T20 સિરીઝમાં જીત સાથે શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે શ્રીલંકાને રોમાંચક રીતે 2 રને હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં શિવમ માવી, દીપક હુડા અને ઉમરાન મલિકે સારું પ્રદર્શન કર્યું હતું. આ સાથે ભારતે 3 મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે. બીજી મેચ 5 જાન્યુઆરી, ગુરુવારે પુણેમાં રમાશે. મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા રમતા 162 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ છેલ્લા બોલ પર 160 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી.