ગુજરાત રમખાણો પર બનેલી ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ના વિવાદના કેટલાક અઠવાડિયા બાદ આવકવેરા વિભાગે મંગળવારે બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસ પર દરોડા પાડ્યા. આજે પણ બીબીસી ઓફિસમાં આવકવેરા ટીમનો સર્વે ચાલુ રહ્યો. આ સર્વેને લઈને વિરોધ પક્ષો તરફથી સતત નિંદા થઈ રહી છે. આ દરમિયાન હવે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન પણ સામે આવ્યું છે.
ભારતમાં બીબીસી પરના આઈટી સર્વે અંગે ઓવૈસીએ કહ્યું, “પ્રેસની સ્વતંત્રતા હોવી જોઈએ. જો પ્રેસ માત્ર શાસક પક્ષના વખાણ કરતા સમાચારો બતાવે અને સરકારની ટીકા કરતા સમાચારોની અવગણના કરે, તો તે લોકશાહીને નબળી પાડશે. ગુજરાતમાં જે થયું, એને કોણ નકારી શકે છે… આજે દરોડા પાડવામાં આવી રહ્યા છે.”
મોટા વ્યક્તિત્વની 40% સંપત્તિ જતી રહી છે: ઓવૈસી
AIMIMના વડાએ કહ્યું, “હિંડનબર્ગ રિપોર્ટ પછી, ભારતના 40% મોટા વ્યક્તિત્વ (અદાણી) ની સંપત્તિ ગુમાવી દીધી. તેઓ (મોદી સરકાર) સુપ્રીમ કોર્ટનું બહાનું બનાવી રહ્યા છે. અમને લાગતું હતું કે પીએમ મોદી ચીનનું નામ લેશે. પરંતુ હવે તેઓ તેનું (અદાણી) નામ લેતા પણ ડરે છે.”
આંતરરાષ્ટ્રીય સ્તરે ખોટો સંદેશ મોકલવાની કાર્યવાહી: મુફ્તી
નોંધપાત્ર વાત એ છે કે, આ કાર્યવાહી બીબીસીની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ રિલીઝ થયાના થોડા અઠવાડિયા પછી થઈ છે. જ્યારે વિપક્ષે આ પગલાની નિંદા કરી, ત્યારે ભાજપે BBC પર ભારત વિરુદ્ધ ઝેરી અહેવાલ આપવાનો આરોપ લગાવ્યો. પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે બીબીસી ઈન્ડિયા સામેની કાર્યવાહી આંતરરાષ્ટ્રીય સ્તરે ખોટો સંદેશો મોકલી રહી છે અને લોકશાહી તરીકે ભારતની છબીને નુકસાન પહોંચાડી રહી છે.
કેન્દ્ર સરકારની બદલાની ભાવનાથી કાર્યવાહી: મમતા બેનર્જી
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આવકવેરા વિભાગના બીબીસી ઈન્ડિયાના કાર્યાલયોના સર્વેક્ષણને “ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ” ગણાવ્યું અને આરોપ લગાવ્યો કે તે ભાજપની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા બદલો લેવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્યો કે ભગવા પાર્ટી મીડિયાને નિયંત્રિત કરી રહી છે. આવી કાર્યવાહીઓ પ્રેસની સ્વતંત્રતાને અસર કરે છે.