ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીની બીજી મેચ (India vs Sri Lanka, 2nd T20I) શનિવારે ધર્મશાળા (Dharamsala) માં રમાશે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર અત્યાર સુધી જીતી શકી નથી.
શ્રીલંકા (India vs Sri Lanka) સામેની T20 સીરીઝ ની પહેલી જ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રવાસી ટીમનું જબરદસ્ત સ્વાગત કરી લીધુ. લખનૌમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતે 62 રને એકતરફી જીત હાંસલ કરી હતી. આ જીત સાથે ભારતે શ્રેણીમાં 1-0 ની સરસાઈ મેળવી લીધી છે. જો કે હવે રોહિત શર્મા (Rohit Sharma) ની આગેવાની ધરાવતી ટીમ ઈન્ડિયાની મુસીબતો શરૂ થઈ ગઈ છે. મુશ્કેલ એટલા માટે છે કારણ કે ટીમ ઈન્ડિયાને હવે તે મેદાન પર મેચ રમવાની છે જ્યાં તે ક્યારેય જીતી શકાયુ નથી. આ સાથે શ્રીલંકાએ પણ ટીમ ઈન્ડિયાને ત્યાં અગાઉ હાર આપી છે. T20 શ્રેણીની આગામી મેચ ધર્મશાલામાં છે (India vs Sri Lanka, 2nd T20I). આ મેચ શનિવારે ધર્મશાળામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશનના મેદાન પર રમાશે.
ધૌલાધરના બરફીલા શિખરોથી ઘેરાયેલું આ મેદાન ઘણીવાર બેટ્સમેન માટે સમસ્યા બની જાય છે. અહીંની ઝડપી અને ઉછાળવાળી પીચ પર બોલરોને સ્વિંગ મળે છે અને ટોપ ઓર્ડરને નુકસાન સહન કરવું પડે છે. જેમ વર્ષ 2017 અને 2015 માં ટીમ ઈન્ડિયા સાથે થયું હતું. 2015માં ટીમ ઈન્ડિયાએ સાઉથ આફ્રિકા સામેની T20 મેચમાં 199 રન બનાવ્યા હતા, પરંતુ તેમ છતાં તેનો પરાજય થયો હતો. આ ઉપરાંત શ્રીલંકાએ આ મેદાન પર ODI મેચમાં પણ ટીમ ઈન્ડિયાને હરાવ્યું છે.
ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાની સામે મેળવી હતી કારમી હાર
10 ડિસેમ્બર 2017ના રોજ ધર્મશાલામાં ભારત અને શ્રીલંકા વચ્ચે ટક્કર થઈ હતી. આ ODI મેચમાં ટીમ ઈન્ડિયા માત્ર 112 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી અને શ્રીલંકાએ માત્ર 20.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. મતલબ શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને 176 બોલમાં હરાવ્યું, જે યજમાન ટીમ માટે મોટી હાર હતી. ધર્મશાળામાં તે દિવસે ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયો હતો. પ્રથમ 5 બેટ્સમેન ડબલ ફિગરને સ્પર્શી શક્યા ન હતા. રસપ્રદ વાત એ છે કે તે મેચમાં રોહિત શર્મા કેપ્ટન હતો.
રોહિત-ધવન, અય્યર બધા નિષ્ફળ રહ્યા હતા
ધર્મશાલામાં શ્રીલંકાના ફાસ્ટ બોલર સુરંગા લકમલે ટીમ ઈન્ડિયાના ટોપ ઓર્ડરને સરન્ડર કરવા મજબૂર કરી દીધા હતા. કેપ્ટન રોહિત શર્મા માત્ર 2 રન બનાવી શક્યો હતો. શિખર ધવન, દિનેશ કાર્તિક ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. મનીષ પાંડે પણ 2 રન બનાવી પેવેલિયન પરત ગયો હતો. શ્રેયસ અય્યર પણ 9 રન બનાવીને આઉટ થયો હતો. હાર્દિક પંડ્યા પણ 10 રનનું યોગદાન આપી શક્યો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 29 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.
જોકે ધોનીએ શાનદાર 65 રન કરીને ટીમ ઈન્ડિયાની લાજ બચાવી અને સ્કોર 100થી આગળ લઈ ગયો હતો. જો કે ટીમ ઈન્ડિયા માત્ર 38.2 ઓવરમાં 112 રન જ બનાવી શકી અને અંતમાં ભારતને મોટી હાર મળી. હવે આજે શનિવારે યોજાનારી મેચમાં ટીમ ઈન્ડિયાએ તે હારને યાદ રાખવી પડશે અને શ્રીલંકાને હરાવી શ્રેણી પર કબજો કરવા માટે શ્રેષ્ઠ રમત બતાવવી પડશે.