(જી.એન.એસ) તા. 27
અમદાવાદ,
શુક્રવાર 27 જૂન, 2025 એટલે અષાઢી બીજના પવિત્ર દિવસ જ્યારે ગુજરાત સહિત વિશ્વભરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી છે. ત્યારે પરંપરાગત રીતે અમદાવાદમાં 148મી રથયાત્રા યોજાઈ રહી છે. ‘જય રણછોડ, માખણચોર’ના અતિભવી જયઘોષ સાથે પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજી, તેમના ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે વહેલી સવારથી નાના બાળકોથી માંડીને વયો વૃદ્ધ તમામ ભક્તો લાઈનોમાં ગોઠવાઈ જાય છે. અમદાવાદમાં આ વખતે 148મી રથયાત્રા દરમિયાન 3 એવી ઘટનાઓ બની હતી જે આજ સુધી ક્યારે પણ બની નથી.
– આ વર્ષે 148મી રથયાત્રાએ જમાલપુર ખાતે જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીને વધુ એક ઉચ્ચ પદવી આપવામાં આવી હતી. જગન્નાથજી મંદિરના મહંત દિલીપદાસજીને જગદગુરુની ઉચ્ચ પદવી આપવામાં આવી છે. મહંત દિલીપદાસજી મહામંડલેશ્વરમાંથી હવે જગદગુરુ બન્યા છે. તેઓ હવે જગદગુરુ રામાનંદાચાર્ય દિલીપદેવાચાર્યના નામથી ઓળખાશે. 1008 મહામંડલેશ્વર મહંત દિલીપદાસજી મહારાજા હતા. આ પાવન પ્રસંગે દેશભરના સાધુ-સંતોએ આ પદવીમાં હાજરી આપી હતી.
– આ વર્ષે 148 મી રથયાત્રામાં એક ઐતિહાસિક ઘટના બની હતી જેમાં, ઈતિહાસમાં સૌપ્રથમ વખત ભગવાન જગન્નાથને ગાર્ડ ઓફ ઓનર્સ આપવામાં આવ્યું હતું. શુક્રવારે વહેલી સવારે પહિંદ વિધિ પહેલા ગુજરાત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનરનું આયોજન કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આ પહેલા ક્યારેય ભગવાન જગન્નાથની રથયાત્રા પહેલાં ભગવાનને ‘ગાર્ડ ઓફ ઓનર’ આપવામાં આવ્યું નથી.
– આ વર્ષની રથયાત્રામાં અમદાવાદ પોલીસ બની વધુ સશક્ત અને ટેકનોલોજી સભર, ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા દરમિયાન કોઈ વિધ્ન ન આવે તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. જેમાં પોલીસ, રેપીડ એક્શન ફોર્સ તેમજ અન્ય પેરામીલેટરી ફોર્સ સહિત કુલ 2400 સુરક્ષાકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા હતા. પોલીસે સૌપ્રથમવાર AI ટેકનોલોજી બેઝ સોફ્ટવેરનો ઉપયોગ કરીને ભીડ પર નજર રાખવા તેમજ ફાયર એલર્ટનો ઉપયોગ કર્યો હતો. આ સાથે 5 હજારથી વધુ બોડીવોર્ન, ડ્રોન, જીપીએસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.


