અમેરિકાના ઊંચા ટેરિફ બાદ ભારતીય નિકાસકારો હવે વૈશ્વિક સ્તરે નવા અને વિકલ્પરૂપ બજારો તરફ વળી રહ્યા છે. સરકારી આંકડા મુજબ, ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ છ મહિનામાં ૨૪ દેશોમાં નિકાસમાં વધારો નોંધાયો છે. બજાર વૈવિધ્યીકરણની વ્યૂહરચના કાર્યરત હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે. નિકાસમાં વધારો નોંધાવનારા મુખ્ય દેશોમાં કોરિયા, યુએઈ, જર્મની, ટોગો, ઇજિપ્ત, વિયેતનામ, ઇરાક, મેક્સિકો, રશિયા, કેન્યા, નાઇજીરીયા, કેનેડા, પોલેન્ડ, શ્રીલંકા, ઓમાન, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, બ્રાઝિલ, બેલ્જિયમ, ઇટાલી અને તાંઝાનિયાનો સમાવેશ થાય છે.
એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૨૫-૨૬ દરમિયાન આ દેશોમાં કુલ નિકાસ ૧૨૯.૩ બિલિયન ડોલર સુધી પહોંચી, જે પાછલા વર્ષની તુલનાએ વૃદ્ધિ દર્શાવે છે. આ દેશો ભારતની કુલ નિકાસમાં આશરે ૫૯% હિસ્સો ધરાવે છે. એકંદરે, એપ્રિલથી સપ્ટેમ્બર ગાળામાં ભારતની નિકાસ ૩.૦૨% વધીને ૨૨૦.૧૨ બિલિયન ડોલર રહી, જયારે આયાત ૪.૫૩% વધીને ૩૭૫.૧૧ બિલિયન ડોલર થઈ. જેના કારણે વેપાર ખાધ ૧૫૪.૯૯ બિલિયન ડોલર થઈ છે. જો કે, આ જ અવધિ દરમિયાન ૧૬ દેશોમાં નિકાસમાં ઘટાડો નોંધાયો હતો, જે ભારતની કુલ નિકાસના આશરે ૨૭% અથવા ૬૦.૩ બિલિયન ડોલર જેટલો હિસ્સો ધરાવે છે.
ઊંચા ટેરિફના સીધા પ્રભાવ રૂપે સપ્ટેમ્બરમાં અમેરિકામાં નિકાસ ૧૧.૯૩% ઘટીને ૫.૪૬ બિલિયન ડોલર રહી હતી. જોકે, એપ્રિલથી સપ્ટેમ્બર દરમ્યાન યુએસમાં કુલ નિકાસ ૧૩.૩૭% વધીને ૪૫.૮૨ બિલિયન ડોલર થઈ છે, જયારે આયાત ૯% વધીને ૨૫.૬ બિલિયન ડોલર પહોંચી. અમેરિકાએ ૨૭ ઓગસ્ટે ભારતીય માલ પર ૫૦% ટેરિફ લાદ્યો હતો, જેના પરિણામે ભારતીય નિકાસકારો વિકલ્પરૂપ બજારો – ખાસ કરીને યુરોપ, મધ્યપૂર્વ અને એશિયાઈ દેશોમાં – નવી તકો શોધી રહ્યા છે.


