ચંદ્ર અને મંગળ પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) હવે શુક્ર પર પણ અવકાશયાન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથનું કહેવું છે કે ભારત પાસે શુક્ર પર મિશન બનાવવા અને લોન્ચ કરવાની ક્ષમતા છે.
સોમનાથનું કહેવું છે કે શુક્રના વાતાવરણનો અભ્યાસ કરવા માટે આ મિશન શરૂ કરવામાં આવશે. જાણકારી અનુસાર શુક્રનું વાતાવરણ તદ્દન ઝેરી છે અને સમગ્ર ગ્રહ સલ્ફ્યુરિક એસિડના વાદળોથી ઢંકાયેલો છે. સોમનાથના કહેવા પ્રમાણે, શુક્ર પર અવકાશયાન મોકલવા માટે વર્ષોથી સંશોધન થઈ રહ્યું છે અને હવે ઈસરોની પાસે આ મિશન માટે એક યોજના તૈયાર છે.
શુક્ર પર સંશોધનની જરૂર શા માટે?
શુક્રને પૃથ્વીનો જોડિયા માનવામાં આવે છે. તેમનો આકાર અને કદ ખૂબ સમાન છે. ઉપરાંત, તેમની રચના પણ એકબીજાને મળતી આવે છે. અમેરિકા સહિત ઘણા દેશો વર્ષોથી શુક્ર પર સંશોધન કરી રહ્યા છે. આ ગ્રહ પર મિશન મોકલીને વૈજ્ઞાનિકો જાણવા માંગે છે કે શુક્રનું વાતાવરણ ક્યારે અને કેવી રીતે બદલાયું.
વાસ્તવમાં, વૈજ્ઞાનિકોનું માનવું છે કે એક સમયે શુક્ર પણ પૃથ્વીની જેમ રહેવા માટે યોગ્ય હતો. જો કે, આબોહવા પરિવર્તનને કારણે, તેનું વાતાવરણ ઝેરી બન્યું.
મિશન લોન્ચિંગની તારીખ હજુ નક્કી નથી
સોમનાથ કહે છે કે તેમની ટીમ મંગળયાન અને ચંદ્રયાન જેવા સફળ મિશનની જેમ શુક્ર મિશન પર કામ કરશે. હાલ સોમનાથ આ મિશન માટે અવકાશયાન ક્યારે તૈયાર થશે તે અંગે કોઈ માહિતી આપી નથી.
સોમનાથે કહ્યું કે, “અમારો ધ્યેય શુક્ર પર કંઈક નવું શોધવાનું છે. અમે જે વસ્તુઓ પર પહેલાથી સંશોધન કરી ચૂક્યા છે તેનાથી કંઈક અલગ શોધીશું, જેથી મિશનની અસર વૈશ્વિક સ્તર પર પડશે. જો અમારું મિશન અનોખું હશે તો તે વિશ્વ તરીકે ઓળખાશે.
મિશન મોકલવાની રેસમાં અમેરિકા, યુરોપ પણ સામેલ છે
ઈસરો ઉપરાંત અમેરિકન સ્પેસ એજન્સી નાસા પણ શુક્ર પર બે અવકાશયાન મોકલવાની તૈયારી કરી રહી છે. નાસાએ આ ગ્રહને શોધવા માટે લગભગ એક અબજ ડોલરનો ખર્ચ કર્યો છે. આ ભંડોળ બે મિશન વચ્ચે વહેંચવામાં આવશે. પ્રથમ- DAVINCI+ અને બીજું- VERITAS. આને 2028 અને 2030 ની વચ્ચે લોન્ચ કરવામાં આવશે.