સિંધાવદરમાં ધ્યાનયોગના પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીજીના પાટોત્સવમાં 10 હજાર ભાવિકો ઉમટ્યા
વાંકાનેરના સિંધાવદર ગામે હિમાલયના સમર્પણ ધ્યાનયોગના પ્રણેતા સદગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામીજી દ્વારા ઊર્જાન્વિત અને સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમમાં સ્થાપિત શ્રી મંગલમૂર્તિનો નવમો પાટોત્સવ પૂજ્ય ગુરુદેવ તથા પૂજ્ય ગુરુમાનાં પાવન સાંનિધ્યમાં ઉજવવામાં આવ્યો હતો. જ્યાં ગત તારીખ: 25-04-2022ને સોમવારના રોજ સાંજે 5:30 વાગ્યે સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ, ભોજપરા વિડી,સિંધાવદર ખાતે 10 હજાર જેટલા ભાવિકો ભક્તિભાવથી ઉમટ્યા હતા.
આ અંગે સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમના ટ્રસ્ટ્રી જીગ્નાબેન ગોહેલે જણાવ્યું હતું કે, વાંકાનેર પાસે સિંધાવદર ગામ છે ત્યાંથી ત્રણ કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ આવેલો છે. જ્યાં દસ હજાર ભાવિકો એકત્રિત થયા હતા અને અહીં સદગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામીજીની મૂર્તિની સ્થાપના થયાને 8 વર્ષ પૂર્ણ થતા અને 9માં વર્ષમાં પ્રવેશ કરતા નવમો પાટોત્સવ યોજાયો હતો. જ્યાં સાક્ષાત અમારા ગુરુની મૂર્તિ છે. જેનો અમે ઉત્સવ ઉજવ્યો હતો. આ કોઈ સામાન્ય ઉત્સવ નથી. આ ઉત્સવ થકી આત્મા અને દેહની શુદ્ધિ થાય છે.
અહિયાં જે વ્યક્તિ આત્મસાક્ષાત્કાર કરે અને સાચા હૃદયથી જોડાઈ છે તે જ વ્યક્તિ ઉત્સવનો આનંદ માણી શકે છે. અહીં જે 10,000 લોકો ભેગા થયા હતા. આ બધા આત્મસાક્ષાત્કાર થકી સામૂહિકતામાં એક થયેલા લોકો છે. અહીં આવવાથી શિબિરમાં જોડાવવાથી મનને શાંતિ મળે છે અને તેનાથી જ જીવન સરળ થાય છે. હાલ અહીં આવેલા લોકો સુંદર એનર્જી અને અનુભૂતિ મેળવી રહ્યા છે.