નવસારીના વિજલપોર શહેરમાં રખડતાં ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. આથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણી વખત રખડતાં ઢોરોની અડફેટે આવતા લોકોના નાની-મોટી ઇજાઓ થઈ છે. જ્યારે કેટલાક બનાવમાં તો રખડતાં ઢોરોના કારણે લોકોને પોતાનો જીવન પણ ગુમાવવાનો પણ વારો આવ્યો છે.
નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા કાર્યવાહી કરાશે
જોકે રખડતાં ઢોરોના ત્રાસ સામે નવસારી નગરપાલિકા દ્વારા કાર્યવાહી તો કરવામાં આવે છે, પરંતુ તેની અસર માત્ર થોડા દિવસ સુધી જ જોવા મળે છે અને થોડા દિવસ બાદ સ્થિતિ પહેલા જેવી થઈ જાય છે. જોકે હવે લોકોની વારંવાર રજૂઆત બાદ નગરપાલિકા તંત્ર ફરી એક્શનમાં આવ્યું હોય તેમ લાગી રહ્યું છે. માહિતી મુજબ, આવતીકાલથી નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો પર રખડતા ઢોરને પકડી પાંજરાપોળમાં મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
10 સભ્યોની 2 ટીમ શહેરના જાહેર માર્ગો પર ફરશે
મીડિયા અહેવાલ મુજબ, આવતીકાલથી નવસારી-વિજલપોર નગરપાલિકાની 10 સભ્યોની 2 ટીમ રખડતાં ઢોરના ત્રાસ સામે કામગીરી હાથ ધરશે. જે હેઠળ શહેરના જાહેર માર્ગો પર રખડતાં ઢોરોને પકડીને પાંજરાપોળમાં મોકલવામાં આવશે. નોંધનીય છે કે, આ પહેલા પણ જ્યારે તંત્ર દ્વારા રખડતાં ઢોરના ત્રાસ સામે કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે કેટલાક માથાભારે ઢોરમાલિકોએ બળજબરી પૂર્વક ઢોર છોડાવી ગયા હતા, જેથી તંત્રને પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી.