6 ડિસેમ્બર, 1992 ના રોજ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ અંગે સામાન્ય રીતે સરકાર તરફથી કોઈ સત્તાવાર સંદર્ભ આપવામાં આવતો નથી. આ અંગે કોઈપણ ટિપ્પણી કરવાનું પણ ટાળવામાં આવે છે. ત્યારે હવે આ દરમિયાન, એક અલગ ટ્રેન્ડ સામે આવ્યો છે. કેન્દ્રીય જલશક્તિ રાજ્ય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે 6 ડિસેમ્બર, બાબરી ધ્વંસના દિવસને ‘શૌર્ય દિવસ’ તરીકે યાદ કર્યો. તેમણે રામ ભક્તોને શુભેચ્છા પાઠવી અને રામ મંદિર આંદોલનમાં બલિદાન આપનારાઓને નમન પણ કર્યા.
ટ્વિટર પર કેન્દ્રીય મંત્રીએ ગણાવ્યો રામ મંદિરનો પાયો નાખનાર દિવસ
કેન્દ્રીય મંત્રી અને મધ્યપ્રદેશના ભાજપના વરિષ્ઠ નેતા પ્રહલાદ સિંહ પટેલે 6 ડિસેમ્બરે તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું, ‘શૌર્ય દિવસ પર તમામ રામ ભક્તોને હાર્દિક શુભેચ્છાઓ. અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બલિદાન આપનાર તમામ કાર સેવકો, રામભક્તોને નમન.’ તેમણે ટ્વીટમાં જે પોસ્ટર શેર કર્યું તેના પર લખ્યું છે કે, ‘રામ મંદિરનો પાયો નાખનાર દિવસ શૌર્ય દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ.’
લોકોએ રામ મંદિર નિર્માણની તસવીરો શેર કરી
મોદી સરકારના મંત્રી પ્રહલાદ સિંહ પટેલના ટ્વીટ બાદ લોકોએ મિશ્ર પ્રતિક્રિયા આપી છે. જોકે સમર્થકો-ચાહકોએ ટ્વિટના જવાબમાં વધુ ભાગ લીધો છે. લોકોએ પ્રહલાદ સિંહ પટેલના ટ્વીટને સ્વાભિમાન સાથે પણ જોડ્યું છે. જયારે કેટલાક યુઝર્સે તેને યોગ્ય જણાવ્યું નથી. લોકોએ લખ્યું કે હવે ભાજપના મોટા ભાગના નેતાઓ પણ તેના વિશે ટિપ્પણી કરવાનું ટાળે છે. આ સાથે જ કેટલાક લોકોએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરની તસવીરો શેર કરીને તેમને શુભેચ્છા પાઠવી.
30 વર્ષ પછી અયોધ્યામાં શું છે સ્થિતિ?
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ કાર સેવકો દ્વારા વિવાદિત બાબરી માળખું તોડી પાડવામાં આવ્યું હતું. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ સુપ્રીમ કોર્ટે આ મામલે પોતાનો ચુકાદો આપ્યો છે. અયોધ્યામાં આ મામલો લગભગ સમાપ્ત થઈ ગયો છે. જો કે, 30 વર્ષ પછી પણ આ ઘટનાની વરસી પર કેટલીક છૂટીછવાઈ ઘટનાઓને કારણે ઉત્તર પ્રદેશની પોલીસે અયોધ્યામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો છે. જો કે, વિરોધ પક્ષના ઘણા સંગઠનો અયોધ્યાની ઘટનાને લઈને શૌર્ય દિવસ અને બ્લેક ડેનું આયોજન કરે છે.