ટોયોટા કિર્લોસ્કર મોટરના વાઇસ-ચેરપર્સન વિક્રમ કિર્લોસ્કરનું મંગળવારે મોડી રાત્રે હાર્ટ એટેકથી અવસાન થયું. વિક્રમ કિર્લોસ્કરની ઉંમર 64 વર્ષની હતી. હતા. બુધવારે એટલે કે આજે બપોરે બેંગલુરુના હેબ્બલ સ્મશાનગૃહમાં બપોરે 1 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. તેમના નિધન પર ઉદ્યોગ જગતની ઘણી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.
કોણ હતા વિક્રમ કિર્લોસ્કર
વિક્રમ કિર્લોસ્કરે મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજીમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આ સાથે વિક્રમ કિર્લોસ્કરે 1997માં જાપાનની ટોયોટા મોટર કોર્પને ભારતમાં લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. 1888માં લક્ષ્મણરાવ કિર્લોસ્કરે સ્થાપેલા જૂથના ચોથી પેઢીના સભ્ય વિક્રમ કિર્લોસ્કર, કૉલેજ પછી પ્રોડક્શન-એન્જિનિયરિંગ તાલીમાર્થી તરીકે પુણેમાં કિર્લોસ્કર કમિન્સ સાથે જોડાયા હતા. તેમણે ઘણા વર્ષો સુધી CII, SIAM અને ARAI માં ઘણા મહત્ત્વપૂર્ણ હોદ્દા પર કામ કર્યું. વિક્રમ કિર્લોસ્કરના પરિવારમાં તેમની પત્ની ગીતાંજલિ કિર્લોસ્કર અને પુત્રી માનસી કિર્લોસ્કર છે.
મોટી હસ્તીઓએ વ્યક્ત કર્યો શોક
વિક્રમ કિર્લોસ્કરના નિધન પર ઉદ્યોગ જગતની ઘણી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે. બાયોકોન બાયોલોજિક્સ એક્ઝિક્યુટિવ ચેરપર્સન કિરણ મઝુમદાર શૉએ પણ વિક્રમ કિર્લોસ્કરના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટ કર્યું કે વિક્રમ એક એવા પ્રિય મિત્ર હતા જેમને હું ખૂબ જ યાદ કરીશ. હું ગીતાંજલિ માનસીના પરિવાર સાથે આ અસહ્ય દુ:ખમાં સહભાગી છું. તેમને શાશ્વત શાંતિ મળે. ઓમ શાંતિ.