કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ‘નો મની ફોર ટેરર’ના સમાપન સત્રમાં સંબોધન કરતા આતંકવાદને સૌથી મોટો ખતરો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે આતંકવાદ લોકશાહી, માનવ અધિકાર, આર્થિક પ્રગતિ અને વિશ્વ શાંતિ માટે ગંભીર ખતરો છે. તેમણે કહ્યું કે આતંકવાદનો સામનો કરવા માટે આખી દુનિયાએ ખભેથી ખભા મિલાવીને કામ કરવું પડશે.
કોન્ફરન્સ દરમિયાન શાહે કહ્યું કે કોઈ પણ દેશ એકલો આતંકવાદને હરાવી શકે નહીં. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયે આતંકવાદ સામે ખભે ખભા મિલાવીને લડવાનું ચાલુ રાખવું જોઈએ. આ દરમિયાન, પાકિસ્તાનનું નામ લીધા વિના, પાડોશી દેશ પર નિશાન સાધતા શાહે કહ્યું કે કેટલાક દેશો અને તેમની એજન્સીઓએ આતંકવાદને તેમની રાજ્યની નીતિ બનાવી છે. કેટલાક દેશોએ વારંવાર આતંકીઓએ અને આતંકવાદને આશ્રય આપનારાઓને સમર્થન આપ્યું છે. આતંકવાદની કોઈ આંતરરાષ્ટ્રીય સીમાઓ હોતી નથી, તેથી તમામ દેશોએ રાજકારણથી આગળ વિચારવું જોઈએ અને એકબીજાને સહકાર આપવો જોઈએ.
અમિત શાહે આતંકવાદને હરાવવા માટે વિશ્વ સમુદાય વચ્ચે ગુપ્ત માહિતીની વહેંચણીમાં પારદર્શિતા લાવવાનું પણ આહ્વાન કર્યું. તેમણે કહ્યું કે અમારી પ્રથમ પ્રતિબદ્ધતા પારદર્શિતા સાથે સહયોગ કરવાની હોવી જોઈએ. તમામ દેશો, તમામ સંસ્થાઓએ વધુ સારી અને અસરકારક રીતે ગુપ્ત માહિતીની વહેંચણીમાં સંપૂર્ણ પારદર્શિતાની પ્રતિજ્ઞા લેવી જોઈએ. યુવાનોમાં કટ્ટરતાને પ્રોત્સાહન આપતી સંસ્થા સામે ભારત દ્વારા લેવામાં આવેલી કાર્યવાહીને ટાંકીને ગૃહમંત્રીએ કહ્યું કે દરેક દેશે આવા સંગઠનોની ઓળખ કરવી જોઈએ અને તેમની સામે કડક પગલાં લેવા જોઈએ.
તેમણે કહ્યું કે આપણે આ યુદ્ધ આતંકવાદ અને આતંકવાદી જૂથો સામે દરેક ક્ષેત્રમાં લડવાનું છે. શાહે કહ્યું કે આતંકવાદ સામે લડવાનો અભિગમ પાંચ સ્તંભો પર આધારિત હોવો જોઈએ. જેમાં વ્યાપક સર્વેલન્સ ફ્રેમવર્ક, તમામ ગુપ્તચર અને તપાસ એજન્સીઓ વચ્ચે સહયોગ, સંકલન અને સહયોગ સામેલ છે. આ સાથે ટ્રેસ, ટાર્ગેટ અને ટર્મિનેટની વ્યૂહરચના પણ અપનાવવી જોઈએ.