PM મોદીએ શનિવારે તેલંગાણાના બેગમપેટમાં રામાગુંડમ ખાતે રામાગુંડમ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (RFCL) પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કર્યો. આ દરમિયાન તેમણે લોકોને સંબોધિત પણ કર્યા હતા. જણાવી દઈએ કે તેલંગાણા પહેલા તેમણે આંધ્રપ્રદેશમાં હજારો કરોડ રૂપિયાના ઘણા પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી.
પીએમએ અહીં લોકોને સંબોધિત પણ કર્યા હતા. મોદીએ કહ્યું, ‘મને એ વાતનો અફસોસ છે કે તેલંગાણાના નામ પર જે લોકો ફૂલ્યા-ફાલ્યા, આગળ વધ્યા, સત્તા મેળવી, તેઓ પોતે તો આગળ વધ્યા, પરંતુ તેલંગાણાને પાછળ ધકેલી દીધું. તેલંગાણાનું જે સામર્થ્ય છે, તેલંગાણાના લોકોની પ્રતિભા છે, તેની સાથે અહીંની સરકાર અને નેતા સતત અન્યાય કરતા રહે છે.’
સરકારનું અંધશ્રદ્ધાને સમર્થન
મોદીએ કહ્યું કે આ શહેર માહિતી અને ટેકનોલોજીનો કિલ્લો છે. જ્યારે હું એ જોઉં છું કે આધુનિક શહેરમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે ત્યારે મને ખૂબ દુઃખ થાય છે. એવું લાગે છે કે સરકારે અહીં અંધશ્રદ્ધાને સમર્થન આપેલું છે. અહીં તેલંગાણામાં અંધશ્રદ્ધાના નામે શું-શું થઈ રહ્યું છે, એ દેશની જનતાએ જાણવું જોઈએ. જો તેલંગાણાનો વિકાસ કરવો છે, તેના પછાતપણાથી નીકળવું છે, તો એને સૌથી પહેલા અહીંની તમામ પ્રકારની અંધશ્રદ્ધાઓ દૂર કરવી પડશે.
સૂર્ય ઉગશે, કમળ ખીલશે
મોદીએ કહ્યું કે ભાજપના મહેનતુ કાર્યકરોના કારણે અંધકાર દૂર થવા લાગ્યો છે. હાલના ચૂંટણીના પરિણામો પરથી સ્પષ્ટ છે કે સૂર્ય ઉગશે અને તેલંગાણામાં કમળ ખીલશે. 1984માં જ્યારે અમારી પાર્ટીએ ચૂંટણીમાં માત્ર બે બેઠકો જીતી હતી, તેમાંથી એક તેલંગાણાની હનમકોંડા બેઠક હતી. તેલંગાણાના ભાજપના કાર્યકરોની મહેનતનું જ પરિણામ છે કે આજે લોકસભામાં 300થી વધુ સાંસદો છે.
તેલંગાણામાં ભાજપની સરકાર ઈચ્છે છે લોકો
તેલંગાણાના લોકો એક એવી ભાજપ સરકાર ઈચ્છે છે જે માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ દરેક પરિવાર માટે કામ કરે. હું તેલંગાણાના લોકોને ખાતરી આપવા માંગુ છું કે ગરીબોને લૂંટનારાઓને બક્ષવામાં આવશે નહીં.
કાર્યવાહીથી બચવા કેટલાક લોકો ટોળકી બનાવીને ભ્રષ્ટાચારીઓનું ગઠબંધન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે તેલંગાણા અને દેશના લોકો આના પર ચાંપતી નજર રાખી રહ્યા છે.