વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ગૃહમંત્રીઓની ચિંતન શિબિરમાં ફેક ન્યૂઝ સામે જાગૃતિ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વડાપ્રધાને કહ્યું કે સોશિયલ મીડિયાને ઓછું આંકી શકાય નહીં અને એક નાના ફેક ન્યૂઝ પણ દેશમાં મોટો હોબાળો મચાવી શકે છે. પીએમએ અનામતને લઈને દેશમાં ફેલાવવામાં આવેલા ભ્રમનો પણ આ દરમિયાન ઉલ્લેખ કર્યો. પીએમએ કહ્યું કે અનામતને લઈને ફેલાવવામાં આવેલા ફેક ન્યૂઝને કારણે દેશને નુકસાન થયું હતું. આ સાથે જ લોકોને ખાસ અપીલ કરતા PMએ સોશિયલ મીડિયા પર મેસેજ શેર કરતા પહેલા તથ્યોની તપાસ કરવા કહ્યું છે.
તોફાન કરાવી શકે છે ફેક ન્યૂઝ
હરિયાણાના સૂરજકુંડમાં આયોજિત ગૃહમંત્રીઓના ‘ચિંતન શિબિર’ને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે કાયદાનું પાલન કરનારા નાગરિકોની સુરક્ષા અને અધિકારો માટે નકારાત્મક શક્તિઓ સામે સખત કાર્યવાહી કરવાની અમારી જવાબદારી છે. ફેક ન્યૂઝ આખા દેશમાં તોફાન લાવી શકે છે. પીએમએ વધુમાં કહ્યું કે આપણે લોકોને કંઈપણ ફોરવર્ડ કરતા પહેલા વિચારવું પડશે, વિશ્વાસ કરતા પહેલા હકીકત ચકાસવી પડશે.
લોકોને જાગૃત કરવા જોઈએ
PM એ કહ્યું કે લોકોને મેસેજ ફોરવર્ડ કરતા પહેલા ચકાસવા માટે તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉપલબ્ધ વિવિધ મિકેનિઝમ્સથી વાકેફ કરવા જોઈએ. વડાપ્રધાને કહ્યું કે ફેક ન્યૂઝના તથ્યોની તપાસ કરવી જરૂરી છે. ટેક્નોલોજી આમાં મોટી ભૂમિકા ભજવે છે. લોકોને મેસેજ ફોરવર્ડ કરતા પહેલા વેરિફિકેશનની મિકેનિઝમથી વાકેફ કરવા જોઈએ.
અનામતના મુદ્દે ફેક ન્યૂઝથી દેશને નુકસાન થયું
વડાપ્રધાને કહ્યું કે સોશિયલ મીડિયા માત્ર માહિતીના સ્ત્રોત પૂરતું મર્યાદિત ન હોવું જોઈએ. વડાપ્રધાને આ દરમિયાન દેશમાં આરક્ષણના મુદ્દે ફેલાયેલ ભ્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે દેશને તેના કારણે નુકસાન ભોગવવું પડ્યું હતું. તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા પર કોઈ પણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલા લોકોએ 10 વાર વિચારવું જોઈએ.