રાજકોટમાં પણ બીજેપીની સેન્સની પ્રક્રીયા આજે હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજકોટમાં પશ્ચિમની બેઠક પરથી એડવોકેટ અનિલ દેસાઈએ વિજય રૂપાણીની સીટ પર દાવેદારી નોંધાવી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર આ બેઠક પરથી પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. તેમણે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે, હું જનસંઘનો કાર્યકર છું. કાર્યકરો અને સમર્થકોના સમર્થનથી દાવેદારી નોંધાવી છે. પક્ષ જેને ટિકિટ આપે તેને જીતાડવા કાર્યકરો મક્કમ છે. દરેકને ટિકિટ માંગવાનો અધિકાર છે. વિજય રૂપાણીની ટિકિટ અંગે તેમણે કહ્યું કે, અમે કમળને વિજય બનાવીશું.
પૂર્વ સીએમ વિજય રુપાણીનું જ લિસ્ટમાં નામ નથી
રાજકોટમાં શહેર વિસ્તારમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું દાવેદારોના લિસ્ટમાં નામ જ નથી. તેમની ચૂંટણી લડવાની ઈચ્છા છે પરંતુ તેમનું દાવેદારોના લિસ્ટમાં નામ ના હોવાથી તેમના ચૂંટણી લડવાને લઈને અનેક તર્ક વિતર્ક પણ જોવામાં આવી રહ્યા છે.
આ નેતાઓએ પણ રાજકોટમાં નોંધાવી દાવેદારી
રાજકોટ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા વિનુ ધવાએ રાજકોટ દક્ષિણ બેઠક પર દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ રાજકોટની ચારેય બેઠકો પર સ્થાનિક દાવેદારોને ટિકિટ આપવા માંગે છે. બહારથી આયાત કરાયેલા દાવેદારોને લઈને કાર્યકરોમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જેના કારણે ભરત બોગરાને ટિકિટ મળવાની શક્યતાઓ ઘટ્યા છે.