હાજીપરના વૃધ્ધે મુળ તળાજાના શખ્સ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો
35 વર્ષ પહેલા હાથઉછીના પૈસા આપ્યાનું કહીં અગાઉ જમીનના દસ્તાવેજ કરી આપવા દબાણ પણ કરેલું, કલેક્ટરનો હુકમ છતાં વેપારીએ જમીન ખાલી ન કરી
બનાવ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર તળાજાના હાજીપર ગામે વાડી વિસ્તારમાં રહેતા નાથાભાઈ જીવાભાઈ ખોડીફાડ (ઉ.વ.૬૫)એ તળાજા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયા નોંધાવી હતી કે, મુળ તળાજા શહેરની ગર્લ્સ સ્કૂલ નજીક ગાંધીભુવનમાં અને હાલ મુંબઈ સ્થાયી થઈ વેપારી સૂર્યકાંત ધનજીભાઈ શાહ નામના શખ્સે ચારેક વર્ષ પહેલા કહેલ કે, તમારા બાપુજીને મેં આજથી ૩૫ વર્ષ પહેલા હાથઉછીના રૂા.૧,૬૫,૦૦૦ આપ્યા હતા. તેમાંથી ડુંગળીનો હિસાબ સમજતા આશરે રૂા.૫૫૦૦ જેટલી રકમ દેવાની બાકી રહેલ હોય, જે રૂપિયા મને સમયમર્યાદામાં પાછા ન આપે તો આ જમીન મને આપી દેવાની વાત થઈ હોય, તમે મને દસ્તાવેજ કરી આપો. જેથી વૃધ્ધે જમીન વેંચવાની ના પાડતા વેપારીએ હાજીપર ગામના સર્વે નં.૯૮ પૈકી એકની હે.૦૦-૪૮-૫૬ ખેતીની જમીનનો કબજો બળજબરીથી લઈ લીધા બાદ ભાગિયા પાસે ખેતી કરાવી ખેડૂતને પ્રવેશવા દેતા ન હતા. જેથી ગત તા.૧૨-૩-૨૦૨૨ના રોજ નાથાભાઈએ જિલ્લા કલેક્ટરમાં અરજી કરતા તેમને ૧૫ દિવસમાં અનઅધિકૃત રીતે કબજો કરાયેલી જમીન પરત આપવા હુકમ કર્યો હતો. તેમ છતાં સૂર્યકાંત શાહે ખેડૂતને જમીન પરત ન આપતા ગત રાત્રિના સમયે વૃધ્ધે શખ્સ વિરૂધ્ધ તળાજા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તેની વિરૂધ્ધ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદાની કલમ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે મુળ તળાજાના અને હાલ મુંબઈ રહેતા વેપારી સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ફરિયાદ થયા અંગે વેપારીએ જણાવ્યું હતું કે, આ જમીનનો તેની પાસે ૪૭ વર્ષથી કબજો છે. એ સમયે મામલતદાર કચેરીમાં જમીન બાબતે કાર્યવાહી કરી પાવર ઓફ એટર્નિ લીધેલી છે. ત્યારે એક એકરનો દસ્તાવેજ ન થાય તેવી સલાહ અપાઈ હોવાથી દસ્તાવેજ કરાવ્યો ન હોય, તેમ છતાં જમીનને લગતા પુરાવાઓ તેની પાસે હોવાનો દાવો કર્યો હતો.