કોંગ્રેસમાં અધ્યક્ષ પદની ચૂંટણીને લઈને હલચલ તેજ થઈ ગઈ છે. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના અધ્યક્ષ બનવાની ચર્ચા જોરશોરથી થઈ રહી છે. તો બીજી તરફ શશિ થરૂર પણ ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યા છે, પરંતુ અહેવાલ છે કે જી-23 જૂથ તેમના નામ પર સહમત નથી. આ દરમિયાન ગેહલોત અને થરૂર બાદ હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહનું નામ પણ પ્રમુખ પદના દાવેદારોમાં સામે આવી રહ્યું છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ આજે દિલ્હી પહોંચી રહ્યા છે. ત્યારે તેઓ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીને મળે તેવી શક્યતા છે.
દિગ્વિજય સિંહ પણ લડશે અધ્યક્ષની ચૂંટણી?
અહેવાલો અનુસાર, કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પાર્ટી અધ્યક્ષ પદના સંભવિત દાવેદાર હોઈ શકે છે. આ પહેલા દિગ્વિજય સિંહે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે કોઈપણ ચૂંટણી લડી શકે છે. તેમણે કહ્યું હતું કે કોઈને ચૂંટણી લડવાથી રોકી શકાય નહીં અને કોઈને ચૂંટણી લડવા માટે દબાણ કરી શકાય નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસમાં ભૂતકાળમાં પણ ગાંધી પરિવારની બહારના અધ્યક્ષો રહ્યા છે.
શું એક વ્યક્તિ એક પદ લાગૂ થશે?
રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે કહ્યું હતું કે એક માણસ એક પદ માત્ર સરકારમાં લાગુ પડે છે, સગંઠનમાં નહીં. તેના પર દિગ્વિજય સિંહે કહ્યું હતું કે એવું નથી. રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતના ચૂંટણીમાં ઉતરવા પર દિગ્વિજય સિંહે કહ્યું કે ઉદયપુર સંમેલનમાં પાર્ટીએ નક્કી કર્યું હતું કે એક વ્યક્તિ એક પદ પર જ રહેશે.
અશોક ગેહલોતે શું કહ્યું?
અશોક ગેહલોતે બુધવારે કહ્યું હતું કે પાર્ટી જે પણ જવાબદારી આપશે તે સારી રીતે નિભાવશે. હાઈકમાન્ડના દરેક આદેશનું પાલન કરશે. એક વ્યક્તિ એક પદના પ્રશ્ન પર તેમણે કહ્યું હતું કે પાર્ટી અધ્યક્ષની ચૂંટણી કોઈ પણ લડી શકે છે. મુખ્યમંત્રી પદ તેના કાર્યક્ષેત્રમાં આવતું નથી. એકંદરે, ગેહલોતનો મુદ્દો એ છે કે એક વ્યક્તિ એક પદની બાબત મુખ્યમંત્રી અને અધ્યક્ષ પદના કિસ્સામાં લાગુ પડતી નથી.