ટીમ ઇન્ડિયાના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીર ચાર વર્ષ પછી ક્રિકેટના મેદાન પર વાપસી કરવા માટે તૈયાર છે. ગૌતમ ગંભીર લીજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભાગ લેશે. ગૌતમ ગંભીરે ખુદ આ વાતની પૃષ્ટી કરી છે કે તે લીજેન્ડ્સ લીગ ક્રિકેટમાં રમશે. ગૌતમ ગંભીર ભારત માટે 2007માં ટી-20 અને 2011માં વન ડે વર્લ્ડકપ જીતનારી ટીમનો ભાગ રહ્યો છે.
ગૌતમ ગંભીરને મોટી મેચના પ્લેયર તરીકે ઓળખવામાં આવે છે. 2011 વર્લ્ડકપ ફાઇનલમાં ગૌતમ ગંભીરે 97 રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ વિજેતા બનાવડાવ્યુ હતુ. આટલુ જ નહી 2007ની ટી-20 વર્લ્ડકપ ફાઇનલમાં પણ ગૌતમ ગંભીરે 75 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આઇપીએલમાં પણ ગૌતમ ગંભીરનો રેકોર્ડ સારો રહ્યો છે અને તેની આગેવાનીમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ 2012 અને 2014માં ખિતાબ જીતવામાં સફળ રહી હતી.
ગૌતમ ગંભીરે કહ્યુ, મને આ વાત જણાવતા ખુશી થઇ રહી છે કે હું લીજેન્ડ્સ લીગ ક્રિકેટમાં ભાગ લેવા જઇ રહ્યો છું. 17 સપ્ટેમ્બરથી હું લીગમાં રમવા માટે ઉપલબ્ધ રહીશ. હું ક્રિકેટના મેદાન પર ફરી વાપસી કરવા માટે ઉત્સાહિત છું, મારી માટે ક્રિકેટના મેદાન પર રહેવુ ગર્વની વાત છે.
17 સપ્ટેમ્બરથી શરૂ થશે લીગ
લીજેન્ડ્સ લીગ ક્રિકેટના સીઇઓ રમન રહેજાએ પણ ગંભીરના રમવા પર ખુશી વ્યક્ત કરી છે. રહેજાએ કહ્યુ, ક્રિકેટના મેદાન પર ગંભીરના યોગદાનને કોણ ભૂલી શકે છે. ગંભીરે ભારતને વર્લ્ડકપ વિજેતા બનાવડાવ્યુ છે. ગંભીરના આવવાથી લીજેન્ડ્સ લીગ ક્રિકેટનો અનુભવ શાનદાર થવાનો છે.
મહત્વપૂર્ણ છે કે 16 સપ્ટેમ્બરે ઇન્ડિયા મહારાજા અને વર્લ્ડ જાયન્ટ વચ્ચે એક સ્પેશ્યલ મેચનું આયોજન થવા જઇ રહ્યું છે. તે બાદ 17 સપ્ટેમ્બરથી લીજેન્ડ્સ લીગ ક્રિકેટની શરૂઆત થશે. ઇન્ડિયા મહારાજાની આગેવાની બીસીસીઆઇ અધ્યક્ષ સૌરવ ગાંગુલી કરશે. બીજી તરફ વર્લ્ડ જાયન્ટની આગેવાની ઇયાન મોર્ગનના હાથમાં હશે.