મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ૭૩માં વનમહોત્સવની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત દુધરેજ, સુરેન્દ્રનગર ખાતે ‘સાંસ્કૃતિક વન- વટેશ્વર વન’નું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીએ વટેશ્વર વનરૂપે રાજ્યને ૨૨માં અને સુરેન્દ્રનગર જિલ્લાને દ્વિતીય સાંસ્કૃતિક વનની ભેટ આપી હતી. વનને લોકાર્પિત કરી તેમણે ઉપસ્થિત મહાનુભાવો સાથે સમગ્ર વનની ખૂબ રસપૂર્વક મુલાકાત લીધી હતી. વનમાં પ્રદર્શિત કરાયેલા ચિત્રો, શિલ્પોને ઉત્સાહપૂર્વક નિહાળતા તેમના અંગે વિગતવાર માહિતી મેળવી હતી. ઝાલાવાડની સંસ્કૃતિને લક્ષમાં રાખીને તૈયાર કરેલ તરણેતરનો મેળો, દ્વોપદીનો સ્વયંવર, વડવાળા મંદિર સહિતનાં પ્રસંગોનાં શિલ્પો અને ચિત્રોની પ્રશંસા કરતા મુખ્યમંત્રી સમગ્ર રચના માટે આનંદ વ્યકત કર્યો હતો. ‘સાંસ્કૃતિક વન- વટેશ્વર વનના લોકાર્પણ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રુદ્રાક્ષના છોડનું રોપણ કર્યું હતું. સમગ્ર વન આયુષ ઉપયોગી વનસ્પતિઓ-છોડોથી તૈયાર કરવામાં આવ્યું છે ત્યારે રોપાયેલા ફૂલો, છોડવાઓની ઔષધીય ગુણો વિશે જાણવાની ઈચ્છા દર્શાવી તેમણે ઉંડાણપૂર્વક તેમના ફાયદાઓ વિશે જાણ્યું હતુ. આયુષ વનની થીમ પર આધારિત આ વનના માધ્યમથી વિવિધ વનસ્પતિ-વૃક્ષોના ઔષધીય ગુણો વિશે સામાન્ય જનતાને અવગત કરાવવાના વિચારને તેમણે આવકારદાયક પહેલ ગણાવી હતી. જિલ્લાને ચોટીલા ખાતે આવેલા ભક્તિ વન બાદ વટેશ્વર વનના રૂપે બીજા સાંસ્કૃતિક વનની ભેટ મળી છે તે જાણી આનંદ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ, મુખ્યમંત્રીએ ઉપસ્થિત મહાનુભાવો સાથે પગપાળા અને ગોલ્ફ કાર્ટમાં બેસીને આરોગ્ય વન, ટચ એન્ડ સેન્સ ગાર્ડન, આયુષ્ય કલર ગાર્ડન, ઝેન ગાર્ડન, યોગા ગાર્ડન સહિતના વિભાગ નિહાળ્યા હતા. કેન્દ્રીય રાજ્યમંત્રી મહેન્દ્રભાઈ મુંજપરાએ બોરસલીનો છોડ, વન અને પર્યાવરણ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ પીપળાના છોડ અને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ સીતાઅશોકના છોડ રોપી વનના નિર્માણમાં સહયોગ કર્યો હતો. આ પ્રસંગે, ધ્રાંગધ્રા ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરીયા, વઢવાણ ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, વન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ યુ.ડી. સિંઘ, અગ્ર મુખ્ય વન સંરક્ષક રામકુમાર, વન સંરક્ષક અમદાવાદ રાજ સંદીપ, નાયબ વન સંરક્ષક સુરેન્દ્રનગર ધવલ ગઢવી, રામકુમાર, જિલ્લા કલેકટર કે.સી. સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, જિલ્લા પોલીસ વડા હરેશ દુધાત અગ્રણી સર્વે આઈ.કે. જાડેજા, જગદીશભાઈ મકવાણા ઊપસ્થિત રહ્યા હતાં.
