ભારતે વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસનો અંત યજમાનને 4-1થી હરાવીને કર્યો હતો. ફ્લોરિડાયમાં રમાયેલી અંતિમ મેચમાં રોહિત શર્મા સહિત કેટલાક રેગ્યુલર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. કેપ્ટન્સીની જવાબદારી હાર્દિક પંડ્યાને સોપવામાં આવી હતી. હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ભારતે આ મેચ 88 રનના મોટા અંતરથી જીતી લીધી હતી. આ મેચમા ભારતીય સ્પિનર્સના બોલ પર વિન્ડીઝના બેટ્સમેન નાચતા જોવા મળ્યા હતા. હાર્દિક પંડ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં અક્ષર પટેલની સાથે કુલદીપ યાદવ અને રવિ બિશ્નોઇને તક આપી હતી. આ ત્રણેય બોલરોએ આખી વેસ્ટ ઇન્ડીઝની ટીમને ઓલ આઉટ કરીને ઇતિહાસ રચી નાખ્યો હતો.
અક્ષર પટેલ અને કુલદીપ યાદવે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ 5મી T20Iમાં 3-3 વિકેટ ઝડપી હતી જ્યારે રવિ બિશ્નોઇ ચાર બેટ્સમેનોને પેવેલિયન મોકલ્યા હતા. આ સાથે જ T20Iમાં ક્રિકેટમાં આવુ પ્રથમ વખત થયુ છે જ્યારે એક ઇનિંગમાં 10ની 10 વિકેટ સ્પિનર્સે લીધી હોય. આ પહેલા આ કારનામુ કોઇ ટીમ કરી શકી નહતી.
વાત મેચની કરીએ તો ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 7 વિકેટે 188 રન બનાવ્યા હતા. ભારતીય ક્રિકેટ ટીમના આ સ્કોર સામે વેસ્ટ ઇન્ડીઝની આખી ક્રિકેટ ટીમ 15.4 ઓવરમાં 100 રનમાં જ ઓલ આઉટ થઇ ગઇ હતી. વેસ્ટ ઇન્ડીઝ તરફથી શિમરોન હેટમાયર ટોપ સ્કોરર રહ્યો હતો, જેને 56 રનની આક્રમક રમત રમી હતી.
પ્રવાસની અંતિમ મેચમાં રોહિત શર્મા સિવાય સૂર્યકુમાર યાદવ, રિષભ પંત અને ભૂવનેશ્વર કુમાર જેવા સીનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો હતો. હવે આ તમામ ખેલાડી એશિયા કપમાં રમતા જોવા મળશે. વિન્ડીઝ પ્રવાસ પછી ટીમ ઇન્ડિયા ઝિમ્બાબ્વેનો પ્રવાસ કરશે જ્યા 3 મેચની વન ડે સીરિઝ રમાશે પણ સીનિયર ખેલાડીઓ આ ટીમનો ભાગ નથી. શિખર ધવન વન ડે સીરિઝની કેપ્ટન્સી કરતો જોવા મળશે. આ વર્ષના અંતમાં ટી-20 વર્લ્ડકપ પણ યોજાવાનો છે.