સતત વધતી જતી મોંઘવારીના મોરચે રાહતના સમાચાર છે. જુલાઈ મહિના માટે છૂટક ફુગાવો 6.65 % રહેવાની ધારણા છે. જો આમ થશે તો તે પાંચ મહિનામાં સૌથી નીચો દર હશે. ખાદ્યપદાર્થોના ભાવમાં ઘટાડો અને ઈંધણ પરના ટેક્સમાં ઘટાડો થવાને કારણે ફુગાવો ઘટવાની ધારણા છે. બાર્કલેઝે તેના અહેવાલમાં કહ્યું કે, જુલાઇમાં 0.36 %નો ઘટાડો થઈ શકે છે જે જૂનમાં 7.01 % હતો. જુલાઈના ફુગાવાના આંકડા 12 ઓગસ્ટે જાહેર કરવામાં આવશે. અગાઉ એપ્રિલમાં રિટેલ ફુગાવાનો દર 7.79 %ના 8 વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલ પરની ડ્યુટી ઘટાડાઈ
સરકારે મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કર્યો હતો. તેનાથી ખાદ્ય ચીજવસ્તુઓ સાથે ઘણા મોરચે રાહત મળવાની અપેક્ષા છે. બાર્કલેઝના ભારતના ચીફ ઇકોનોમિસ્ટ રાહુલ બાજોરિયાએ જણાવ્યું કે, રિટેલ ફુગાવાને ઘટાડવા માટે ઘણા બધા પરિબળો છે. ઉપરાંત, ઓક્ટોબર સુધીમાં, તે RBIના નિશ્ચિત દાયરામાં આવી શકે છે.
બે-ત્રણ મહિનામાં મોંઘવારી ઘટશે
બાર્કલેઝે કહ્યું કે, મોંઘવારી દરમાં ઘટાડાને કારણે RBIને પણ રાહત મળશે. આગામી બે-ત્રણ મહિના સુધી તેમાં ઘટાડો ચાલુ રહેવાની ધારણા છે. ખાદ્યતેલ, રાંધણ ગેસ જેવા મોરચે ભાવ ઘટવાની શક્યતા પણ હવે ઘટશે. જો કે, તેમાં કહેવામાં આવ્યું છે કે ગયા મહિને દેશના કેટલાક ભાગોમાં પૂરને કારણે થોડું નુકસાન થઈ શકે છે.