મેનચેસ્ટરમાં રિષભ પંત અને હાર્દિક પંડયા વચ્ચે પાંચમી વિકેટની ભાગીદારીએ ટીમ ઇન્ડિયાને 8 વર્ષ પછી વન ડે સીરિઝમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ઇંગ્લેન્ડમાં જીત અપાવી દીધી હતી. આ સીરિઝ જીતવાની સાથે જ રોહિત શર્મા ભારતનો પ્રથમ એવો કેપ્ટન બની ગયો છે જેના નેતૃત્વમાં ટીમે વન ડે અને ટી-20 સીરિઝ પોતાના નામે કરી છે. આ મેચમાં રિષભ પંતે વન ડે કરિયરની પ્રથમ સદી ફટકારી હતી અને મુશ્કેલ પરિસ્થિતિમાં ટીમ ઇન્ડિયાને જીત અપાવી હતી.
મેચ બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કહ્યુ કે તે ઇંગ્લેન્ડ પ્રવાસે ટીમ તરીકે કઇક મેળવવા માંગે છે, કારણ કે ગત પ્રવાસે ટીમને હાર મળી હતી. રોહિત શર્માએ હાર્દિક પંડ્યા અને રિષભ પંતની બેટિંગની પ્રશંસા કરી હતી. રોહિત શર્માએ યુઝવેન્દ્ર ચહલને ટીમનો મહત્વપૂર્ણ સભ્ય ગણાવ્યો હતો અને વર્લ્ડકપ પછી તેને જે રીતે વાપસી કરી તેની પ્રશંસા કરી હતી. ચહલે મેનચેસ્ટર વન ડેમાં 3 વિકેટ ઝડપી હતી.
રોહિત શર્માએ ટોપ ઓર્ડરની બેટિંગની લઇને કહ્યુ કે આ ચિંતાની વાત નથી, તેમણે કહ્યુ કે કેટલીક સીરિઝમાં ટોપ ઓર્ડર નથી ચાલ્યો પરંતુ અમે જાણીયે છીએ કે તે ટીમમાં શું ક્વોલિટી લાવે છે.
વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ સીરિઝમાં વિરાટ કોહલી, જસપ્રીત બુમરાહ અને યુઝવેન્દ્ર ચહલ જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જ્યારે તેને વર્તમાન ટીમ વિશે પૂછવામાં આવ્યુ તો રોહિત શર્માએ કહ્યુ કે, અમારી પાસે કેટલાક સોલિડ ખેલાડી છે જે બહાર બેઠા છે અને તક મળવાની રાહ જોઇ રહ્યા છે. અમે પોતાની બેન્ચ સ્ટ્રેન્થને મજબૂત કરવા માંગીએ છીએ. ઇન્જરી થતી રહે છે માટે વર્કલોડને મેનેજ કરવુ પડશે. તેની માટે અમારે પોતાની બેન્ચ સ્ટ્રેન્થ મજબૂત કરવી પડશે. કેટલાક સોલિડ ખેલાડી છે જેમણે વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ તક મળશે.
મેચની વાત કરીએ તો ભારત સામે 260 રનનો પડકાર હતો જેને ટીમે 5 વિકેટ ગુમાવીને 7 ઓવર પહેલા જ મેળવી લીધો હતો. ભારત તરફથી રિષભ પંતે અણનમ 125 રન જ્યારે હાર્દિક પંડ્યાએ 71 રન બનાવ્યા હતા.