રાજકોટ શહેરના ભાવનગર રોડ પર પટેલ વાડી પાસે આવેલા ફખરી પાર્કમાં કારના કવર ફાડી નાખતા તે બાબતનો ખાસ રાખી એક શખસે શ્વાન અને ગલુડિયાને ધોકાના ઘા ફટકાર્યા હતા જેમાં શ્વાનનું મોત થયું હતું.જેનો પીએમ રિપોર્ટ આવી ગયા બાદ આ બાબતે જીવદયા પ્રેમીની ફરિયાદ પરથી પોલીસે આ શખસ સામે પશુ પ્રત્યે ક્રૂરતા આચરવાની કલમ મુજબ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી. જાણવા મળતી વિગતો મુજબ, મોરબી રોડ પર સેટેલાઈટ ચોક પાસે પુષ્કરધામ એવન્યુ 2 માં રહેતા જીવદયાપ્રેમી ભાવિનભાઈ ઘનશ્યામભાઈ ધિયાડ દ્વારા બી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભાવનગર રોડ પર પટેલ વાડીની સામે ફખરી પાર્ક શેરી નંબર ત્રણ પાસે રહેતા મુરતુજા વોરાનું નામ આપ્યું છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ,ગત તારીખ 3/7 ના રોજ તેમના જીવદયા પ્રેમીના એક સોશિયલ ગ્રુપમાં ફખરી પાર્ક પાસે એક નાનું ગલુડિયું તથા કૂતરાને કોઈએ ધોકા વડે મારમાર્યાનો મેસેજ મળ્યો હતો જેથી તેમણે અહીં પહોંચી તપાસ કરતા ગલુડિયું ઇજાગ્રસ્ત હાલતમાં હોય જ્યારે શ્વાનનું મોત થયું હોવાનું માલુમ પડ્યું હતું બાદમાં તેમણે અહીં આસપાસ તપાસ કરતા એવું માલુમ પડ્યું હતું કે અહીં રહેતા મુરતુજા વોરાએ તેમની કારનું કવર કૂતરાએ ફાડી નાખ્યું હોય જેથી તેનો ખાર રાખી કુતરા અને ગલુડિયાને ધોકાના ઘા ફટકાર્યા હતા. બાદમાં આ મામલે શ્વાનનો પીએમ રિપોર્ટ આવી જતા અને તેમાં મૃત્યુનું કારણ બોથડ પદાર્થના ઘા ફટકારવાથી થયું હોય તેવું સામે આવતા આ મામલે જીવ દયાપ્રેમીએ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે આઇપીસીની કલમ 428 તથા પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.