દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડમાં ધરપકડ કરાયેલ આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાને CBI રિમાન્ડ પૂરા થયા બાદ સોમવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. મનીષ સિસોદિયાને કોર્ટમાંથી 20 માર્ચ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા. રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. સિસોદિયાને 2 દિવસના રિમાન્ડ બાદ 6 માર્ચે આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
કસ્ટડીમાં આ વસ્તુઓ રાખવાની પરવાનગી મળી
AAP નેતા સિસોદિયાએ ન્યાયિક કસ્ટડી દરમિયાન દવાઓ, ડાયરી, પેન અને ભગવદ ગીતા જેલમાં રાખવાની પરવાનગી માંગી. સિસોદિયાને મેડિટેશન સેલમાં રાખવામાં આવશે. સીબીઆઈએ કોર્ટને કહ્યું કે અમે અત્યારે મનીષ સિસોદિયાની કસ્ટડી માંગી રહ્યા નથી, પરંતુ આગામી થોડા દિવસોમાં કસ્ટડીમાં પૂછપરછ કરવાની જરૂર પડશે. મનીષ સિસોદિયાએ ફિઝિકલ હાજરીનો આગ્રહ રાખ્યો, જેને કોર્ટે માન્ય રાખ્યો. જણાવી દઈએ કે સિસોદિયા અત્યાર સુધી કુલ 7 દિવસના CBI રિમાન્ડ પર રહી ચુક્યા છે. AAP નેતાની 8 કલાકથી વધુ પૂછપરછ કર્યા બાદ 26 ફેબ્રુઆરીએ CBIએ તેમની ધરપકડ કરી લીધી હતી.
SCએ જામીન અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો
27 ફેબ્રુઆરીએ, રાઉઝ એવન્યુ કોર્ટે સિસોદિયાને 4 માર્ચ સુધી સીબીઆઈ રિમાન્ડ પર મોકલ્યા, જેથી તેમની પૂછપરછ કરી શકાય. આ દરમિયાન સિસોદિયાએ સુપ્રીમ કોર્ટમાં પણ પોતાની જામીન અરજી દાખલ કરી હતી. જોકે સુપ્રીમ કોર્ટે આ અરજી પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. ત્યારબાદ 4 માર્ચે સિસોદિયાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યારે જજ એમકે નાગપાલે તેમને વધુ બે દિવસ માટે CBI કસ્ટડીમાં મોકલી દીધા હતા. ત્યારપછી સીબીઆઈએ કોર્ટ પાસે તેમની ત્રણ દિવસની કસ્ટડી માંગી હતી.
ઉલ્લેખનીય છે કે, CBIએ 26 ફેબ્રુઆરીએ આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાની દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસની તપાસમાં સહકાર ન આપવા અને તપાસકર્તાઓના પ્રશ્નોને ટાળવા બદલ ધરપકડ કરી હતી.