શનિવારે સુરતમાં આવેલા સરદાર બ્રિજ પરથી 19 વર્ષીય યુવતીએ મોતની છલાંગ લગાવી હતી. જોકે ઘટના સ્થળ પર હાજર લોકોએ યુવતીને બચાવી લીધી હતી. લોકોએ ફાયર વિભાગને જાણ કરતા ટીમે ત્યાં આવી યુવતીને 108માં હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાઈ હતી. આ મામલે પોલીસને જાણ કરાતા પોલીસે યુવતીના આત્મહત્યાના પ્રયાસ પાછળનું કારણ શોધવા તપાસ હાથ ધરી છે.
માહિતી મુજબ, શનિવારે સુરતના સરદારબ્રિજ પરથી એક 19 વર્ષીય યુવતીએ તાપી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે યુવતીને છલાંગ લગાવતા જોઈ કેટલાક સ્થાનિક લોકો નદીના તટે પહોંચ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ તાપી નદીમાં કૂદી યુવતીનો આબાદ બચાવ કર્યો હતો. ત્યાર બાદ સ્થાનિક લોકોએ ફાયરની ટીમને પણ જાણ કરી હતી. આથી ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી અને યુવતીને 108 એમ્બ્યુલન્સના મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી.
આત્મહત્યાનું કારણ અકબંધ
જોકે યુવતીએ ક્યાં કારણોસર નદીમાં છલાંગ લગાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ અંગે સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં યુવતી ઉમરવાડા વિસ્તારની રહેવાસી હોવાનું સામે આવ્યું છે. યુવતી હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.