પાટણમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 29મી ઓગસ્ટના રોજ યોજાનાર ભગવાન રામાપીરની જન્મજયંતિની ઉજવણી સંદર્ભે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રીની આગેવાની હેઠળ રોટલીયા હનુમાન મંદિર ખાતેથી બાબરી પદયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
રાજસ્થાનના પ્રસિધ્ધ રણુંજા યાત્રાધામ ખાતે બીરાજમાન બાર બીજના ધણી બાબારામદેવપીરના ભાદરવા સુદ બીજના પ્રાગટય દિવસને લઇ પાટણ શહેરમાં આવેલા વિવિધ રામદેવપીરના સ્થાનકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા આગામી 28 ઓગસ્ટના રોજ યોજાનાર બાબરી બાઇક સંઘ અંગે લોકોમાં જનજાગૃતિ આવે તે માટે પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી.પટેલની આગેવાની હેઠળ રોટલીયા હનુમાન મંદિર ખાતેથી હાંસાપુર રામાપીરના મંદિર ખાતે પદયાત્રા યોજાઇ હતી.
આ પદયાત્રા રોટલીયા હનુમાન ખાતેથી પ્રસ્થાન પામી હાંસાપુર, માતરવાડી અને લીલીવાડી વિસ્તારમાં આવેલા રામાપીરના મંદિરો પર ધજા નેજા સાથે નગરજનોમાં ભાદરવા સુદ બીજ– રામાપીરના પ્રાગટય દિવસે યોજાનાર બાબરી બાઇકસંઘ અંગે સંદેશો ફેલાવવામાં આવ્યો હતો. આ ઉપરાંત આ પદયાત્રા સંઘ દ્વારા બુધવારના રોજ રેલ્વેસ્ટેશન વિસ્તારમાં આવેલ રામાપીર મંદિર, દુઃખવાડા, તેમજ રામનગરના રામાપીર મંદિરે ભકિતસભર માહોલમાં પદયાત્રા કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કે.સી.પટેલે જણાવ્યું હતું કે, સૌની આસ્થાઓ પૂર્ણ કરનાર બાબા રામદેવપીરની જન્મજયંતિ નિમિત્તે સૌ નગરજનો બાબરી બાઇકસંઘમાં જોડાય તેવો અનુરોધ કર્યો હતો. આ પદયાત્રામાં સ્નેહલ પટેલ, કિશોર મહેશ્વરી, વિજય પટેલ, હર્ષ પટેલ સહિત ભાજપના કાર્યકરો જોડાયા હતા.