આ પ્રસંગે બોર્ડના ચેરમેન શીશપાલસિંહ રાજપૂતે જણાવ્યું કે, રોજ પોતાની શક્તિ વધારવા માટે ધ્યાન અને ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ. યોગના અનંત લાભ છે. વ્યક્તિની દુર્દશા ન થાય તે માટે યોગ છે. આજની વ્યસ્તા ભરી દુનિયામાં માણસના તનની સાથે મન પણ તંદુરસ્ત રહે તે માટે યોગ જરૂરી છે. યોગ કરવાથી માણસ નિરોગી રહે છે જેથી યોગ પ્રત્યે હર એક નાગરિક સભાન થાય તે માટે બોર્ડ દ્વારા આવી શિબિર યોજવામાં આવી રહી છે. આજે લોકો રોગને ભગાડવા માટે એલોપથીનો ઉપયોગ કરે છે, જેથી લોકો તુરંત સાજા થઈ જાય તે સાચુ છે પરંતુ એલોપથી ટ્રીટમેન્ટમાં રહેલા કેમિકલોની આડઅસર થતા શરીરમાં અન્ય રોગો પ્રવેશે છે. જ્યારે યોગમાં પ્રાણાયામથી શક્તિ વધે અને કપાલભાતીથી પાચન તંત્ર મજબૂત બને છે જે શરીરને ચાર્જિગમાં મદદરૂપ થાય છે. જે વ્યક્તિ રોજ યોગ કરે તે જીવનભર નિરોગી રહે છે. કારણ કે યોગ અને રોગને વેર છે. યોગ પે ચર્ચા કાર્યક્રમમાં શીશપાલજીએ ઓડિટોરીયમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા લોકો સાથે વ્યક્તિગત પ્રશ્નોતરી કરી હતી. જેમાં જીવનનું મકસદ શુ છે? એવો પ્રશ્નો કરતા અનેક લોકોએ પોતાના વિચારો મુજબ જવાબ આપ્યા હતા. જેની સામે શીશપાલજીએ કહ્યું કે, સુખ આપવુ અને સુખ પ્રાપ્ત કરવું એ જીવનનું મકસ્દ છે. આ ભાવ માત્ર યોગીનો હોય છે. સુખ પણ 7 પ્રકારના છે. શારીરિક સુખ, માનસિક સુખ, આધ્યાત્મિક સુખ, આર્થિક સુખ, પારીવારિક સુખ, વૈચારિક સુખ અને સંબંધોનું સુખ. આ તમામ સુખો માટે જીવનમાં યોગ સિવાય કોઈ વિકલ્પ નથી. કાર્યક્રમની પૂર્ણાહૂતિ બાદ ઓડિટોરીયમથી રેલી કાઢવામાં આવી હતી. કાર્યક્રમમાં બોર્ડના વલસાડ જિલ્લાના કો ઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે, વલસાડ મેડિકલ કોલેજના એડિ. ડીન ડો. જનક પારેખ, બ્રહ્માકુમારીઝના રંજનદીદી, પતંજલિ યોગના દક્ષિણ ગુજરાતના પ્રભારી તનુજાબેન આર્ય, ઝોન કો ઓર્ડિનેટર સ્વાતિબેન ધાનાણી અને ડાંગના કો ઓર્ડિનેટર કમલેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત પ્રવચન પ્રીતિબેન પાંડેએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ જાનકીબેન ત્રિવેદીએ કરી હતી.