મની લોન્ડરિંગ કેસમાં દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનની કસ્ટડી 13 જૂન સુધી લંબાવવામાં આવી છે. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટના આદેશ બાદ બહાર નીકળતી વખતે જૈનની તબિયત અચાનક બગડી હતી. જે બાદ તેમને દિલ્હીની લોહિયા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જૈને કોર્ટમાં જામીન અરજી પણ કરી છે.
જૈનના ઈડી પાસેના રિમાન્ડ 9મી જૂને પૂરા થઈ રહ્યા હતા, તેથી ઈડીએ કસ્ટડી વધારવાની માંગ કરી હતી. સ્પેશિયલ જજ ગીતાંજલિ ગોયલે રિમાન્ડ વધારવાનો નિર્ણય આપ્યો હતો.
EDએ દરોડા બાદ રિમાન્ડ વધારવાની માંગ કરી છે
EDના ASG SV રાજુએ કોર્ટને જણાવ્યું કે જૈન જ્યારે કસ્ટડીમાં હતો ત્યારે EDએ તેના દિલ્હી-ગુરુગ્રામના લગભગ 7 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ત્યાંથી લગભગ 2.82 કરોડ રોકડા અને 1.80 કિલો સોનાના સિક્કા અને બિસ્કિટ મળી આવ્યા હતા. આ સિવાય કેટલીક વાંધાજનક વસ્તુઓ પણ મળી આવી છે. આ માટે જૈનની પૂછપરછ કરવાની બાકી છે.
જૈનના વકીલે વાંધો ઉઠાવ્યો હતો
જૈનના વકીલ કપિલ સિબ્બલે EDની માંગનો વિરોધ કરતા કહ્યું કે જૈન પહેલાથી જ કસ્ટડીમાં છે અને તેમની કસ્ટડી વધુ લંબાવવા માટે કોઈ કારણ નથી. EDના સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર એનકે મટ્ટાએ કોર્ટને જણાવ્યું કે મની લોન્ડરિંગ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેની પીએમએલએ એક્ટની ફોજદારી કલમો હેઠળ અટકાયત કરવામાં આવી હતી.
મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનની ધરપકડ
દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનની EDએ મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી છે. જૈન, તેમની પત્ની પૂનમ અને અન્ય લોકો સામે અપ્રમાણસર સંપત્તિ અને મની લોન્ડરિંગ કેસમાં કેસ નોંધવામાં આવ્યો છે. એવો આરોપ છે કે જૈને કથિત રીતે દિલ્હીમાં અનેક શેલ કંપનીઓ બનાવી હતી અથવા ખરીદી હતી. તેણે કોલકાતાના ત્રણ હવાલા ઓપરેટરો પાસેથી 54 શેલ કંપનીઓ મારફતે રૂ. 16.39 કરોડનું કાળું નાણું પણ ટ્રાન્સફર કર્યું હતું.
ગયા મહિને ઇડીએ જૈન પરિવાર અને તેની સાથે સંકળાયેલી કંપનીઓની રૂ. 4.81 કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. 2018માં પણ EDએ આ કેસમાં સત્યેન્દ્ર જૈનની પૂછપરછ કરી હતી.